Saturday, May 10, 2014

નૈના નીર બહાયેઃ વારાણસી, વોટર અને વિધવાઓ

ધણણણ...ધણણણ, ઝાલરની ઝણઝણાટીઓ બોલી રહી છે. દીપ પ્રજ્વલિત થઈ રહ્યા છે, બ્રહ્મમૂહુર્તનો સમય છે.હર હર ગંગેનો નાદ સંભળાઈ રહ્યો છે. છ હજાર વર્ષ જુની નગરીના રંગો મેઘધનુષી અને માણસો મોજીલા છે.ભારતને જો જાણવું અને જોવું હોય પણ સમય ન હોય તો આ શહેરમાં ફરી લેવુ.આ નગરી છે જ એવી.જેના પર કંઈ કેટલીય કવિતા અને ફિલ્મી ગીતો પણ લખાયા છે અને હવે એક નવો અધ્યાય લખી રહ્યું છે.ભારતીય રાજનીતિનો સ્તો.જી હાં 'હમ હૈ બનારસી બાબુ'. કાશી કહો ચાહે વારાણસી. દેશમાં ઘણાં શહેરો એવા છે જેના બે-ત્રણ બે-ત્રણ નામો હોય, પણ તમામ નામથી સૌ વાકેફ ન હોય. આ શહેર જ એવુ છે જે ત્રણ નામથી ઓળખાય છે. નાના હતાં ત્યારે એક કહેવત સાંભળી હતી કે, 'સુરતનું જમણ અને કાશીનું મરણ'.કળા અને સાહિત્યથી ભર્યું ભાદર્યું અને આર્થિક રીતે કંગાળ.કદાચ ગંગાજીને સરસ્વતી મળ્યા પણ લક્ષ્મીજી રૂઠ્યા હશે.

તુલસીદાસજી, કબીર, બિસ્મિલ્લાહ ખાન,લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત રવિશંકર અને સિતારા દેવી જેવા કંઈક દિગ્ગજો આ શહેરના ઓક્સિજન પર જીવ્યા છે.આગામી 16 મે સુધી કદાચ દેશમાં આ એક માત્ર શહેર છે એવુ વાતાવરણ થઈ ગયુ છે, વારાણસીના વાદળો દેશ પર છવાઈ ચુક્યા છે.તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડનગરથી વાયા વડોદરા થઈ વારણસી પહોંચ્યા છે.એક સમયે ચા વેચતા મોદી મતદારોને ચા પાઈને બનારસી પાન ખવડાવવાની વેંતરણમાં છે.

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો આ ઘટનાઓ
આખે આખો નકશો ક્યારે બદલાવી દે,કહેવાય નહીં


સિદ્ધહસ્ત કવિ રમેશ પારેખે લખેલી આ કવિતા વારાણસી પર એકદમ બંધ બેસે છે.હાલની સ્થિતિમાં પણ સંકેતો, અફવાઓ અને ચહેરા પર બીજો ચહેરો ચીપકાવાઈ રહ્યો છે.શહેરના ચહેરા પર પણ બીજો ચહેરો છે, એટલે ચહેરે પે ચહેરા જેવુ થઈ રહ્યું છે.કાશી ટપાલીના થેલા જેવું બિન સાંપ્રદાયિક છે.ટપાલીના થેલામાં કંકોત્રી, મેલો(મરણના સમાચાર આપતો પત્ર), તમામ જ્ઞાતિ અને જાતિઓ આ થેલામાં કોઈને કોઈ પ્રકારે સાથે હોય છે. બસ તો આપણું આ કાશી પણ એવુ જ છે.અહીં તવાયફો,ગણિકાઓ,વિધવા, વિદ્વાનો, સંગીતકારો, હિન્દુ અને મુસ્લિમ એક શહેરમાં કોઈપણ જાતની સુગ વિના વર્ષોથી વસતા આવ્યા છે.વારણસીમાં વસતા માણસને વેનિસની કોઈ પડી ન હોય. આ શહેર અંગે ઘણાં સમયથી એક આવ્યા કરે છે કે, તેને ગુજરાતીમાં કહો તો 'વ' અને અંગ્રેજીમાં 'V' સાથે ઘરોબો છે કે લેણું છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડનગરના, વારણસી સિવાય વડોદરાથી પણ ચૂંટણી લડે છે.અરે, હા ભાઈ હા એક ફિલ્મી કનેકશન પણ છે.

આ શહેર પર આધારિત એક 'વોટર' ફિલ્મ પણ બની જે પાછી વિધવાઓ પર આધારિત હતી, છેને 'વ'નું જોર. દીપા મહેતાની અદભૂત ફિલ્મ 'વોટર'ને લઈને ખૂબ વિવાદો થયેલા કટ્ટરવાદી હિન્દુઓએ ફિલ્મના શૂટિંગને લઈ ખૂબ જ વિરોધ કર્યો. ફિલ્મનો કેમ વિરોધ? તેની પાછળ પણ એક કથા. આ ફિલ્મ હિન્દુ બાળ વિધવાઓની સ્થિતિ પર આધારિત હતી, જેનો કેટલાક જડસુઓ વિરોધ કરી રહ્યાં હતાં.તો ચાલો શા માટે આ ફિલ્મ બની અને તેનો વિષય વિધવાઓ હતો, તો વારાણસી અને વિધવાઓને શું લેવાદેવા છે.વધુ એક વી કનેકશન. ભારતમાં વિધવાઓની સ્થિતિ વારાણસીમાં જ ખરાબ છે એવુ નથી વૃંદાવનની પણ એજ હાલત છે. આ બે શહેરો જેટલા અદ્યાત્મિક અને ધાર્મિક એટલા જ અંદરથી કલંકિત છે.દીપા 'વોટર'નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર કટ્ટરવાદીઓ હુમલો કર્યો. આ મામલો ખૂબ ચગ્યો.ફિલ્મમાં એવુ શું હતું કે, હિન્દુ કટ્ટરવાદીઓએ વિરોધ કરવો પડ્યો?આ વાત તો જે વાચકોએ ફિલ્મ જોઈ હશે તેને સમજાઈ ગઈ હશે,પણ વાસ્તવમાં વારાણસીમાં વિધવાઓની સ્થિતિ શું છે?

તો ચાલો કરો આગળ વાંચવાનું શરૂ. ચૂંટણી અને ઉત્સવના માહોલ વચ્ચે કેટલાય આશ્રમોમાં ગમગીની છે.અહીં લાખો વિધવાઓની જિંદગીના કપાળ પર લાલ બિંદીને બદલે કાળી ટીલી લાગી હોય તેમ લાગે છે.વિધવાઓના ઘણાં પ્રકાર છે.અહીં તમને 7 વર્ષથી લઈને 70 વર્ષીય વૃદ્ધા વિધવા જોવા મળે.હિન્દુ જીવન પદ્ધતિની જેટલી ઉત્તમ બાબતો છે એનાથી કદાચ વધુ કાળી છે.યુગપુરૂષ અને રાષ્ટ્રભક્ત સંન્યાસી વિવેકાનંદે એકવાર કહેલું કે, 'જે ધર્મ વિધવાઓના આંસુ ન લુંછી શકે તેમાં મને વિશ્વાસ નથી'.વિધવાઓના આંસુ લુંછવા માટે કોણ આગળ આવશે? મોદી, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી કે મુલાયમસિંહ?.કદાચ એકેય નહીં. દરેક વિધવાની એક વાર્તા છે. આશ્રમમાં રહેતી આ વિધાવાઓમાં કોઈને સંતાનો દ્વારા ઘરમાં કાઢી મુકવામાં આવી છે,તો કોઈને જમાઈઓએ.તો કોઈ તેમના પરિવાર પર બોજો બનવા માગતી ન હોવાથી અહીં આવી છે.આ તમામમાંથી મોટા ભાગની વિધવાઓ વચ્ચે એક સામ્યતા છે.

તેમાની મોટાભાગની વિધવાઓના લગ્ન 6-7 વર્ષે થઈ ગયા હોય છે અને તેના પતિનું 10-12 વર્ષની ઉંમર થવા સુધીમાં મૃત્યુ પણ થઈ ગયુ હોય છે.આ ઉંમરે પતિ શું તે પણ ખબર હોતી નથી, તેમાં આ પરંપરાઓ ભાર નીચે દબાવુ તો મૃત્યુ સમી બાબત છે.માણસ માટે ખોરાક જેટલુ જ મહત્વ શારીરિક અને માનસિક ભૂખ અને હુંફનું છે.7 વર્ષે લગ્ન થયા બાદ તે માતા-પિતા સાથે લગભગ 4 વર્ષ સુધી રહે છે, ત્યાર બાદ તેને આણુ વારવાની પરંપરા છે.11 વર્ષે પતિને મળવાનું બને છે, પણ વધુ એક પરંપરાના પાપે વધુ એક વર્ષ અલગ થવુ પડે છે. આ દરમિયાન પતિ સાથે સુવાની કે વાત કરવાની મનાઈ હોય છે,એવામાં પતિનું કોઈ કારણોસર મૃત્યુ થઈ જાય છે.પરંતુ તેને ખબર હોતી નથી કે તે ફરીવાર લગ્ન પણ કરી શકતી નથી.તે અભ્યાસ માટે શાળાએ પણ જઈ શકે નહીં અને ઘરબેઠા ભણવાનું હોય છે.માત્ર વૈરાગી જીવન જીવવાનું.પરંતુ માતા-પિતાના મૃત્યુ બાદ આફતનું આભ ફાટે છે,આ સમયે તેની પાસે વારણાસી આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

આ કથિત વૈરાગ્ય દરમિયાન તેના માથાના વાળ ઉતારી લેવામાં આવે છે અને સફેદ સાડી પહેરવાની ફરજ પડે છે.મસાલેદાર ભોજન નહીં કરવાનું, પુરૂષો સાથે વાત નહીં કરવાની, ઉત્સવ નહીં મનાવવાનો.ટૂંકમાં કહીએ તો જીવવાનું નહીં પણ રોજે રોજ મરવાનું. જેમાંની વિધવાઓને તો એવુ મગજમાં ઠસાવાય છે કે, કંઈ પૂર્વ જન્મના પાપોને કારણે તે વિધવા બની છે.મોટા ભાગની વિધવાઓને બીજીવાર લગ્ન કરવાની ઈચ્છા પણ રહેતી નથી,ઘણી વિધવાઓના બીજા વિવાહ થયા હોય છે.પરંતુ તેમની ખરાબ હાલતને જોઈ મોટાભાગની વિધવાઓ બીજીવાર પરણવા માટે તૈયાર થતી નથી.વારાણસીમાં સરકારી અને સામાજિક સંસ્થાઓના આશ્રમો આવેલા છે.ગંગાજીને નમવા જે એક સ્ત્રી છે પણ વિધવાઓનું અપમાન કરે.આપણે કેવો સમાજ સર્જી રહ્યા છીએ?આ વિધવાઓ પણ ગંગાસ્વરૂપ જ છે. જો તેને કોઈ જોઈ જાય તો પણ તેને અપશુકન માનવામાં આવે છે.તો ઘણી વિધવાઓને દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.

આશ્રમોમાં વિધવાઓ ધાર્મિક માન્યતાઓને કારણે રહે છે, પણ હિન્દુ જીવન પદ્ધતિમાં આવી કોઈ પરંપરા હોય તે માનવુ મુશ્કેલ છે.કદાચ દિમાગ વિનાના લોકોએ આવી કોઈ પરંપરા શરૂ કરી હશે. જોકે વૃંદાવન કરતા વારાણસીની વિધવાઓની સ્થિતિ થોડે ઘણે અંશે સારી છે.અહીં સંસ્થાગત માળખુ છે. સંસ્થાઓને ગ્રાન્ટ પણ સરળતાથી મળી શકે છે.વિધવાઓ માટે સુલભ ઈન્ટરનેશનલ પ્રશંસનીય કામગીરી બજાવે છે.આ સંસ્થા અમુક વિધઓને મહિને 2000 રૂપિયા પેન્શન આપે છે.દેશમાં કુલ 4 કરોડથી વધુ વિધવાઓ છે, એટલે કે દેશની મહિલાઓની વસ્તીના 10 ટકા તો વિધવાઓ જ છે.જેમાંની અનેક જિંદગી બદ્દતર થઈ છે અને ગુજારો કરવા દેહ પણ વેચવો પડે છે.વિધવાઓની કુલ સંખ્યાના 28 ટકા જ પેન્શન પાત્ર છે.ગ્લોબલ મિનિસ્ટ્રી ફાઉન્ડેશન મુજબ 85 ટકા વિધવાઓના કુપોષણને કારણે મૃત્યુ થાય છે.જ્યારે ઘણી વિધવાઓને તો માત્ર થોડુ ફ્રુટ ખાઈને દિવસ પસાર કરવો પડે છે.ખાસ કરીને ગરીબ પરિવારની વિધવાઓને વધુ યાતનાઓ સહન કરવી પડે છે.


એક વાત નોંધવા જેવી એ કે, ઈન્દીરા ગાંધી વિધવા બન્યા બાદ દેશના વડાપ્રધાન બન્યા.તો યુપીએ સરકાર ચેરપર્સન સોનિયા ગાંધી પણ વિધવા જ છે.રાજ્યસભાના સાંસદ અને અભિનેત્રી રેખા પણ વિધવા છે.તો વિધવાઓનો દોષ શું?રાજકીય ઢોલબાજી અને નારબાજી વચ્ચે આ વિધવાઓનું કોણ સાંભળશે?.સવાલ તો સવા અબજનો છે, પણ વજન પાંચીયા જેટલુ.

મૂળ બિહારના મોતીહારના રહેવાસી 90 વર્ષીય બિન્દેશ્વરી દેવીએ તો નરેન્દ્ર મોદી કે અરવિંદ કેજરીવાલનું નામ પણ સાંભળ્યું નથી. પરંતુ શાંતિસિંહા નામના 70 વર્ષીય વિધવા રાજકીય રંગોથી થોડા પરિચિત છે.તેમણે કહ્યું કે વડાપ્રધાન મનમોહનસિંહે ગરીબો માટે કંઈ કર્યું નથી.તેમણે કહ્યું હતું કે,'ગરીબો કી જાન લે લી ઉસને'.તેમણે કહ્યું તેણે મોદીનું નામ સાંભળ્યું છે. નરેન્દ્ર મોદી અંગે વાત કરતા કહે છે કે,'હા મેં તેમને ટીવી અને સમાચાર પત્રોમાં જોયા છે.તેમના અંગ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ તેઓ અમારા માટે કંઈ કરશે ખરા?'.વારાણસીની વિધવાઓ આ સવાલ વર્ષોથી કરતી આવી છે.પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી.બસ ગંગા કિનારે આશ સાથે ઉભેલી વિધવાઓ કોઈ ઉદ્ધારકની રાહ જોઈ ઉભી છે.  

Wednesday, May 7, 2014

વર્ષ 1998, ગામ ગોંડલ,કામ પ્રજાના હ્રદયમાં કમળ છાપવાનું


અટલ યુગનો પવન સુસવાટા મારતો હતો. 27 ફેબ્રુઆરી 2002ના ગોઝારા દિવસને હજુ 4 વર્ષ જેટલો સમય બાકી હતો. વર્ષ 1998.વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગતા હતાં.ગુજરાતના મુખ્યમંત્રી દિલીપ પરીખ હતા અને કેશુ સવદાસ ભાઈ પટેલ ફરીવાર ગાંધીનગર પર કબ્જો કરવાની ગોઠવણમાં વ્યસ્ત હતાં.રાજકીય સભાઓ પૂરજોશમાં હતી.હવેનું દ્રશ્ય કંઈક આવ હતુ, કેસરી રંગના કમળ(બોર્ડર લીલા રંગની) ખિસ્સામાં ખોસી કાર્યકરો દોડાદોડ કરે છે. ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપની સભા યોજાવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આસપાસના ગામમાંથી માણસો લઈ જવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ઉમેદવાર જયરાજ ટેમુ ભા જાડેજાને જીતાડવા સ્થાનિક ભાજપ દોડધામમાં વ્યસ્ત.બસ હવે એક સભા થઈ જાય તો જીતી શકાય એવી આશ.આયોજન મુજબ સભા પણ યોજાઈ અને વક્તા કોણ?એક દાઢીધારી અને ઝભ્ભા લેંઘામાં સજ્જ ભાજપના કેન્દ્રીય નેતા.આસપાસના ગામમાંથી માણસોની વ્યવસ્થા થઈ ગઈ હતી.સભા શરૂ થઈ અને આ નેતાએ ભાષણ ચાલુ કર્યું, સભા પુરી થઈ અને વિરપુર(જલારામ)થી ગોંડલ પહોંચેલા એક મતદારને એક ટીનએજરે પૂછ્યુ કે, શું થયું ભાજપ કે કોંગ્રેસ?.જવાબ સાંભળવા જેવો હતો(જોકે તમારે વાંચવા જેવો).અરે ભાઈ આ માણસ તો હ્રદયમાં કમળ છાપીને ચાલ્યો ગયો. ચૂંટણી પરિણામો જાહેર થયા 182માંથી ભાજપ 117 સીટ્સ સાથે સત્તા પર આવ્યો અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા..

ત્યાર બાદ લગભગ 3 વર્ષ વીતી ગયા.26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો, સરકાર પુનર્વસનમાં નિષ્ફળ ગઈ.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષની દુર્દશા થઈ અને ભાજપના મોવડી મંડળે નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો અને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે બેસાડ્યા.વજુભાઈએ રાજકોટ બેઠક ખાલી કરી મોદીને પેટા ચૂંટણી લડાવી અને જીતાવી પણ ખરી.તેઓ પડદા પાછળના દિગ્ગજ ખેલાડી પણ ક્યારેય ચૂંટણી લડી ન હતી.આ તેનો ચૂંટણી જંગમાં ઉતરવાનો પહેલો અનુભવ હતો. ગાદી સંભાળવા સાથે જ ગુજરાતને પણ સંભાળી લીધુ, એવામાં 4 મહિનામાં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ એસ 6માં આગ લાગી અને 59 કાર સેવકોનો મોત થઈ ગયા.

આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. ત્યાર બાદ ઘણું બધુ બન્યું અને આ ઘટનાના હજુ પણ પડઘાઓ પડી રહ્યા છે અને કદાચ પડતા રહેશે.મુખ્યમંત્રી મોદી પર પદ છોડવાના પણ દબાણો થયા.થોડાં સમયમાં ગુજરાતમાં રમખાણોની રાખ ઠંડી પડી ગઈ અને મુખ્યમંત્રી ગુજરાત ગૌરવ યાત્રા લઈ નીકળ્યા. નાના ગામો અને 20-25 માણસો સામે એક સમીકરણ બેસાડ્યું કે કોંગ્રેસ ગુજરાત વિરોધી છે. દેશના ઘણાં લોકો ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતીઓને દેશભરમાં બદનામ કરે છે.કોંગી મિત્રો કહે છે આપણે રમખાણીયા છીએ.લોક લાગણી જીતવાનો આથી વધુ સારો નુસખો ધ્યાનમાં હોય તો કહેજો.આ રમખાણોની પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે યુ.એનમાં ટીકા કરી.જેનો જવાબ મોદીએ મિયાં મુશર્રફ સંબંધોન કરીને આપ્યો.આ સંબોધનથી મોદીએ એક તીરથી અનેક નિશાન પાર પાડ્યા.

થોડાં સમયમાં જ વિધાનસભા ચૂંટણી આવવાની હતી.આ દરમિયાન જ મુખ્યમંત્રીને તત્કાલીન ચૂંટણી કમિશનર જે.એમ લિંગ્દોહ સાથે ચૂંટણી જાહેર કરવાને લઈ વાંકુ પડ્યું અને મુખ્યમંત્રીએ તેને જે.એમ લિંગ્દોને બદલે જેમ્સ માઈકલ લિંગ્દોહ કહીને સંબોધ્યા.આઉટલૂક મેગેઝીનના અહેવાલ મુજબ, આ પહેલા લિંગ્દોહે ગુજરાતના અધિકારીઓ માટે અસભ્ય શબ્દ વાપર્યા હતા.આ મુદ્દો ખૂબ ચગ્યો.તેના આ શબ્દ ચાતુર્યના ઘણા અર્થ કરવામાં આવ્યા.ઘણાએ તો ત્યાં સુધી કહ્યું કે લિંગ્દોહને ક્રિશ્ચિયન તરીકે રજૂ કરવા મુખ્યમંત્રીએ આ શબ્દ પ્રયોગ કર્યો.

આ સમયગાળામાં જ ચતુરાઈ પૂર્વક બોલેલુ વાક્ય વાંચો, 'દેશભરના કહેવાતા ખેરખાંઓ કાન ખોલીને સાંભળી લે,આલિયા, માલિયા જમાલિયાઓ ગુજરાતને બદનામ કરવાની કોશિષ કરશે તો ગુજરાત હવે સાંખી નહીં લે'. ચૂંટણી દરમિયાન વારંવાર આ શબ્દોનો ઉપયોગ કર્યો.વિધાનસભા ચૂંટણીઓ જાહેર થઈ અને 12-12-2002 મતદાનની તારીખ નક્કી થઈ.ચૂંટણી દરમિયાન મોદીએ મતદાન તારીખ 12 હોવાથી 12મી તારીખે કોંગ્રેસનું બારમું કરી નાંખવા આહવાન કર્યું.  ભાજપ હિન્દુત્વને મુદ્દો બનાવી ચૂંટણી લડ્યો. પ્રચાર દરમિયાન મોદીએ  અને કોંગ્રેસને પછાડી 127 સીટ્સ કબ્જે કરી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં વિજય સંમેલન કર્યું અને ઉપસ્થિતોને અભયમ..અભયમ..અભયમનો નારો આપી એક સંદેશ આપ્યો કે, ડરો નહીં.રમખાણો બાદ ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં લઈ તેઓ આ શબ્દો હોંશિયારી પૂર્વક બોલ્યા.ત્યાર બાદ પાંચ વર્ષ સુધી સફળતા પૂર્વક ગુજરાત ચલાવ્યુ અને પાંચ કરોડ ગુજરાતીઓની માળાઓ જપી અને લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી.

જેમાંની સૌથી પ્રસિદ્ધ અને સફળ એટલે જ્યોતિગ્રામ. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચાડવા માટે લોકને સ્પર્શતુ નામ રાખી આ યોજના શરૂ કરી.ત્યાર બાદ સુજલામ સુફલામ અને વાઈબ્રન્ટ ગુજરાત,નવરાત્રિ મહોત્સવ,આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ અને સખી મંડળ જેવી યોજનાઓ લાગુ કરી. ન.મોની યોજનાઓના નામો ભારતીય અને સંસ્કૃતિને સ્પર્શ છે.કોઈએ એવુ કહ્યું છે કે, જો પ્રજા પર શાસન કરવું હોય તો તેમને ઉત્સવ અને યોજનાઓના ઘેન રાખવી.કદાચ આ વાક્યને મુખ્યમંત્રીએ એકદમ ગંભીરતાથી લીધુ છે. વર્ષ 2007માં ફરી વિધાનસભા ચૂંટણીઓ આવી.ન.મોએ આ વખતે પાંચ નહીં સાડાપાંચ કરોડ ગુજરાતીઓને એક સવાલ કર્યો કે તમારે 'જ્યોતિગ્રામ જોઈએ છે કે નંદીગ્રામ', 'મેં આલિયા, માલિયા, જમાલિયા, માફીયા ઔર ટપોરી, ઈન સબકો ગુજરાત કી ધરતી સે ભગા દુંગા'.આ ચૂંટણીમાં સૌથી સફળ બે પંચ લાઈન રહી એક તો જીતેગા ગુજરાત અને ખાતો નથી ખાવા દેતો નથી. 'મૌત કા સૌદાગર'ને ઉલ્ટાવી કોંગ્રેસ વળતો હુમલો કર્યો.આ ચૂંટણીમાં પણ જ્વલંત વિજય મેળવી ગાદી પર બેસી ગયા.

આ કાર્યકાળ દરમિયાન વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, ચીરંજીવી યોજના, ગુણોત્સવ, કૃષિમેળા, ગરીબ કલ્યાણ મેળો, બાળ સખા યોજના, મમતા અભિયાન, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના,ગુજરાતને 50 વર્ષ થવા નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત વર્ષ.આ ગાળામાં 2009માં 15મી લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રચાર અભિયાનનો ભાર મોદીના ખભે હતો અને વડાપ્રધાન પદના ઉમેદવાર એલ.કે અડવાણી હતાં.આ પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસના ટોચના ત્રણ માથા સોનિયા, રાહુલ અને પ્રિયંકાને એસઆરપી કહ્યા.જોકે તેમછતાં ભાજપ લોકસભા ચૂંટણી હારી ગયો.ત્યાર બાદ મુખ્યમંત્રીએ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી.ઈન્ટરવ્યુમાં એક જ વાત 'કુછ બનને કે નહીં કુછ કરને કે સપને દેખો'. આ ચૂંટણી પહેલા જ સદભાવના લઈને મેદાનમાં ઉતર્યા અને દરેક જિલ્લામાં જઈ એક દિવસના ઉપવાસ કરી નાણાકીય ફાળવણીઓ કરી(આ નાણા જે તે જિલ્લાને મળ્યા કે નહીં?).

2012ની વિધાનસભા ચૂંટણીઓ શરૂ થઈ હવે મુખ્યમંત્રીએ ગુજરાતીઓની સંખ્યા વધારીને છ કરોડ કરી અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે મત માગવા નીકળ્યા.હાં દેખો દેખો કૌન આયા ગુજરાત કા શેર આયાનો નારો લાગતો જાય અને નમો પ્રચાર કર્યે રાખે.હવે તેનું નિશાન બન્યા વડાપ્રધાન મનમોહનસિંહ તેમણે તેને મૌન મોહનસિંહ કહી સંબોધવાનું શરૂ કર્યું તો સોનિયાને મેડમ અને રાહુલને શહેજાદા. આ નામથી જનમાનસમાં એક સંદેશ જાય કે, સોનિયા તો મેડમ એટલે કે સામાન્ય માનવી સાથે સંકળાયેલા નથી, યુવરાજ શહેજાદા એટલે રાજ કુમાર તેને અને આમ આદમી સાથે કોઈ સીધો સંપર્ક નહીં, ટૂંકમાં કહીએ તો જમીનથી જોડાયેલા નહીં અને મૌન મોહનસિંહ એટલે હંમેશા રાષ્ટ્રીય સમસ્યાઓ પર મૌન રહેતા વડાપ્રધાન. ચૂંટણી નારો હતો એકમત ગુજરાત બને ભાજપ સરકાર.જેનો સીધો અર્થ કે ભાજપ મામલે ગુજરાત એક મત છે.

ગાંધીનગરમાં એક મજુરીયો મોકલો. નિયો મીડલ ક્લાસ(વર્ષોથી પીડાતા મધ્યમ વર્ગને નજરમાં રાખીને). વર્ષોથી સત્તા વિરોધી લહેર માટે વપરાતા અંગ્રેજી વાક્યને એન્ટી ઈન્કમ્બન્સીને બદલે પોતે સત્તામાં હોવાથી પ્રો ઈન્કમ્બન્સી હોવાની વાત કરી. રાજ્યની તિજોરી પર પંજો નહીં પડવા દઉં.2જી(સ્પેક્ટ્રમ કૌભાંડ) અને જીજાજી(રોબર્ટ વાડ્રા). નમોએ તેના શબ્દબળે સતત ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી બતાવી.હવે તેને દિલ્હી નજીક લાગવા માંડ્યું અને ગાંધીનગરથી મોદી ટ્રેન નીકળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ.વડાપ્રધાન પદ અંગે આજે પણ પૂછો તો આવો જવાબ આવે.હું તો પક્ષનો નાનો કાર્યકર છું.જે પક્ષ સોંપે તે જવાબદારી સંભાળુ છું, આવુ તો કંઈનું કંઈ બોલે.

ફેબ્રુઆરી 2013માં શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો પી2 (પ્રો-પીપલ) અને જી2(ગુડ ગવર્નન્સ). વિધાનસભામાં હેટ્રીક માર્યાના લગભગ 9 મહિનામાં જ 16મી લોકસભા માટે પહેલા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને થોડા સમયમાં જ વડાપ્રધાન પદના ઉમેદવાર બની ગયા. ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કર્યો. તેમણે લોકોને કહ્યું હું ચૂંટણી નથી લડતો પણ દેશ લડે છે. ત્યાર બાદ છપ્પન ઈંચની છાતી, કોંગ્રેસને અનુલક્ષીને તેઓ નામદાર છે હું કામદાર છું.દેશને શાસક નહીં સેવક જોઈએ.શહેજાદા અને મેડમ શબ્દનો ભરપૂર ઉપયોગ કર્યો. એસઆરવીપી(સોનિયા, રાહુલ, વાડ્રા, પ્રિયંકા).આંખ દીખાકર નહીં આંખ મિલાકર કામ કરને કા સમય(વિદેશ નીતિ મામલે રજૂ કરેલો વિચાર).

સમર્થકોના હર હર મોદીના નારા સાથે જંગી સભાઓ.સભામાં લોકોની તોતિંગ હાજરી બતાવવા જહાં ભી નજર પહુંચ રહી હૈ, મુંડ હી મુંડ હૈ. ધાર્મિક લાગણી દુભાતા પોતાને આ નારાથી અલગ કર્યા.પીંક રિવોલ્યુશન(માંસની નિકાસની ટીકા સંદર્ભે), મર જવાન મર કિસાન(ખેડૂતોની દુર્દશા અને જવાનોના માથા વઢાવાની ટીકા).ન્યૂઝ ટ્રેડર કા સબ ખેલ હૈ(મીડિયાની ટીકા સંદર્ભે). કોંગ્રેસ કો સાંઠ સાલ દીયે મુજે સાંઠ મહિને દીજીયે.મેં કહેતા હું ભ્રષ્ટાચાર હટાઓ, મહેંગાઈ હટાઓ વો કહેતે હૈ મોદી હટાઓ.ડર્ટી ટીમ હટાઓ ડ્રીમ ટીમ લાઓ.તીન AK પાકિસ્તાન કી મદદ કર રહે હૈ, AK47(રાઈફલ) AK49(અરવિંદ કેજરીવાલ અને AK(સંરક્ષણ મંત્રી એન્ટોની).સરકાર સંવિધાન સે ચલતી હૈ(સંઘની સરકાર પર પકડને લઈ આપેલો જવાબ).મત વિસ્તાર વડોદરામાં સભા દરમિયાન મુખ્યમંત્રીએ એક જ શબ્દમાં ચૂંટણી વિજય પાક્કો કરી લીધો.તેમણે કહ્યું કે, મારી સામે લાખો નરેન્દ્ર મોદી બેઠા છે.વારણસીમાં ઉમેદવારી કર્યા બાદ ફરી તેમણે શબ્દ શક્તિ બતાવી અને કહ્યું'ન મુજે કીસીને ભેજા હૈ, ન મેં યહાં આયા હું, મુજે તો મા ગંગાને બુલાયા હૈ' અને અંતે તેમનો ચૂંટણી નારો 'ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અબ કી બાર મોદી સરકાર'.'નીચી જાતિ કા હું નીચ રાજનીતિ નહીં કરતા હું'.મોદીને તેના વાકાચતુર્ય, પુરૂષાર્થ અને નિયતિએ વડાપ્રધાનની ખુરશી અપાવી દીધી અને તે પણ ઐતિહાસિક વિજય સાથે,હવે તેમના વચનો પર ખરા ઉતરે છે કે નહીં તેનો રિપોર્ટ 5 વર્ષ બાદ માગીશુ.

વર્ષ 1998માં ગોંડલમાં આવીને કોંગ્રેસીઓના દિલમાં પણ કમળ છાપી દેનારા બીજું કોઈ નહીં, પણ વડાપ્રધાન બનવા થનગની રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતાં.

Wednesday, April 23, 2014

બુદ્ધ, રામ, લક્ષ્મણ-મોદીઃ પત્નીઓને પીડવવી પુરૂષોનો રાષ્ટ્રીય શોખ?

વીકઓફને દિવસે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરના ઓટલે એકલો બેઠો હતો. એવામાં 6-7 મહિલાઓ એક ચર્ચામાં મશગુલ હતી.આ ચર્ચામાં વારંવાર પરણિત પણ પતિ વિહોણી સ્ત્રીની વેદનાની વાતો ચાલી રહી હતી.મને થયું આવું તો ચાલતુ હોય તેમાં આપણે શું પંચાતમાં પડવું, પણ એક ક્ષણ મને વિચાર આવ્યો આવા કિસ્સાઓ તો ઘણા બને છે.એવામાં લગભગ એક 45-50 વર્ષીય મહિલાએ મગજ પર ભાર આપી યાદ કર્યું અને એક વાત શરૂ કરી. આ વાત સાંભળવા માટે હું પણ બે ઘડી ઉભો રહ્યો. આ મહિલાની વાત કંઈક આ રીતે શરૂ થઈ અમારા ગામમાં પણ અમુક સ્ત્રીઓના પતિ 5-7 વર્ષે દેશ-વિદેશમાં ભટકીને આવતા અને ક્યારેક તો બીજી સ્ત્રી સાથે સંબંધો પણ બાંધી લેતા અને પત્ની બાળકોના તો ખબર અંતર પણ પૂછતા નહીં.

આ સમયે સવાલ થયા કરતો કે, આ પ્રકારની સ્ત્રીઓની મનોદશા શી હશે.જેમાં નવી નવી વાતો સામે કોઈ કહે શું કરે બિચારી એકલપંડે માયાવી સંસારનું ગાડું ગબડાવ્યે રાખે, તો બીજી હાજર રહેલી મહિલાએ કીધુ તો શું તેણે તો આ પ્રકારના પુરૂષ સાથે ડિવોર્સ લઈ લેવા જોઈએ.વળતો પ્રત્યુતર આવ્યો ના ભાઈ ના સમાજમાં કેટલાય સવાલો ઉભા થાય. અમારી જ્ઞાતિમાં આવુ તો ના ચાલે. આ સ્ત્રીઓ કોઈ 21મી સદીની થોડી છે. આજની છોરીઓ જુઓ કેવી સ્વતંત્ર થઈ જીવે છે, પણ આપણા જમાનામાં તો માતા-પિતાનો જ હુકમ હોય સાસરિયે ગમે એટલી તકલીફ પડે પણ પિયરમાં તમારા રોદણા રડવા આવવું નહીં. અલગ થઈને પિયરે જવાની તો વાત જવા દો, બાપુજીનો હુકમ હોય કે રસ્તામાં કુવો આવે તો તેમાં પડી જજે પણ અહીં ન આવતી. હવે બીચારી જાય પણ ક્યાં? તેના લગ્નને તો ત્રણ-ત્રણ દાયકા થઈ ગયા છે.આ ચર્ચામાં જ એક યુવતી જોડાઈ અને બોલી પુરૂષ છોડીને ચાલ્યો જાય તો સ્ત્રીએ સહન કરવાનું અને સાંભળવાનું, સ્ત્રી પુરૂષને છોડીને ચાલી જાય તો પણ સ્ત્રીએ જ ભોગવવાનું.ભલા પુરૂષોને આવી છુટ કોણે આપી?

એવામાં વચ્ચે એક આધેડવયની મહિલા બોલી છોડીને જતા રહે તેવા પતિઓ કરતા તો સાથે રહીને ભલેને જે કરવું હોય તે કરે.આ પ્રકારના પતિઓ કરતા તો દારૂડીયા અને જુગારિયાઓ સારા.આ ચર્ચા થોભવાનું નામ લેતી ન હતી.

સાંજ પડી મારો મિત્ર ઘરે આવ્યો એટલે સ્વભાવિક છે કે આખા દિવસના ગામ ગપાટાની વાત થઈ.આ પ્રકારના મુદ્દાઓમાં મને ખાસ કંઈ ઉંડી ગતાગમ પડે નહીં એટલે તેને પૂછ્યું કે, રામ તો સીતાને વનમાં પણ સાથે લઈ ગયા હતાં, તો આ બધા રામની સીતા મુદ્દે કેમ ટીકા કરે છે?.ઘણાંને એવો પણ સવાલ થાય છે કે એક ધોબીની વાત સાંભળી ફરી વનવાસ આપ્યો. તેનો માંડીને જવાબ આપ્યો કે, પહેલા તો તમે રામને ભગવાન તરીકે મુલવો નહીં, તે ઈશ્વર પછી પહેલા રાજા હતાં. તેણે ધોબી(આમ આદમી)ને ગંભીરતાથી લેવો પડે, આ તેનું કર્તવ્ય છે. તો અગ્નિ પરિક્ષા કેમ લીધી? આ સવાલનો જવાબ રામ આપી શકે,પણ એક એવો જવાબ આપી શકાય કે જો રામને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય તો તેને હજારો મુશ્કેલીઓ પાર(સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગયા) કરી લંકા સુધી લેવા કેમ પહોંચ્યા.આ જ તો આદર્શ પુરૂષ રામની ખાસિયત છે.

ભારત વર્ષના મહાન પાત્રોમાં આવા દાખલાઓ એક ઢુંઢો તો મિલે હજાર જેવુ છે.ચાલો હજુ એક બે ડગલા આગળ વધીએ. શ્રેષ્ઠ ભાતૃ ભક્ત તરીકે લક્ષ્મણના ઉદાહરણો આપવામાં આવે છે, પણ પતિ તરીકે?ભાતૃભક્તિમાં પતિધર્મ ચૂકી ગયા?.પતિ વિના 14 વર્ષ જીવવુ ભલભલી સ્ત્રીઓ માટે દોહ્યલું બની જાય.સીતા તો પતિ ધર્મનું બહાનું કાઢી રામ સાથે ચાલી નીકળા પણ ઉર્મિલા ન ગઈ.તેની પાછળ પણ તેનો મોટો ત્યાગ હતો,જો તે લક્ષ્મણ સાથે વનની વાટ પકડત તો લક્ષ્મણને મોટાભાઈને સેવામાં પણ વિઘ્ન પડત.હવે લક્ષ્મણની ભાતૃ ભક્તિ મોટી કે ઉર્મિલાનો પત્ની ધર્મ તે તો વાચકો જ નક્કી કરી શકે.તેમછતાં લક્ષ્મણનો ભાતૃ પ્રેમ સૌ કોઈને યાદ રહ્યો અને ઉર્મિલાનો પતિ પ્રેમ?કદાચ આપણા સમાજની પુરૂષવાદી માનસિકતાને કારણે આવુ બધું ભુલી જતા હઈશું.મૈથિલિ શરણ ગુપ્ત અને કુમાર પંકજ જેવા કવિઓએ તો ઉર્મિલાની પીડા કવિતા દ્વારા વ્યક્ત કરી છે. કુમાર પંકજે લખેલી કવિતામાં ઉર્મિલાનું કંઈક આમ દર્દ છલકાઈ છે,જેમાં રામ 14 વર્ષે અયોધ્યા આવ્યા છે અને ઉર્મિલાને કહે છે કે હવે તો વનવાસ સમાપ્ત થઈ ગયો છે અને લક્ષ્મણ પરત આવ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, તુ હવે શા માટે ઉદાસ છો? અને ઉર્મિલા તેનો ઉત્તર આપે છે.... 

मन की उलझन को कैसे समाधान दूँ
एक अभिशप्त सुख को क्या वरदान दूँ
बाद बरसों के उत्सव का मौसम है पर
किस तरह अपने आंसू को मुस्कान दूँ

આવી બધી વાતો સમજવા માટે કા તો સ્ત્રી તરીકે જન્મ લેવો પડે અથવા સ્ત્રી હ્રદયથી જીવવુ પડે. પત્નીને પીડા આપવામાં ભગવાન બુદ્ધ પણ કંઈ પાછળ નથી. યશોધરા જેવી પત્નીને છોડીને ચાલી જવામાં ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. ભગવાન બુદ્ધે અનેક સવાલોના જવાબો આપ્યા પણ 12 વર્ષે સત્યની ખોજ કરી પરત ફર્યા ત્યારે પત્ની યશોધરા સામે જીભને જેલમાં પુરી દીધી.યશોધરાએ તેમના સવાલોની તોપો ધણધણાવી. યશોધરાએ બુદ્ધને પૂછ્યુ તમે જે જંગલમાં જઈને મેળવ્યું તે શું અહીં મળી શકે તેમ ન હતું.ભગવાન ના પણ પાડી શકે નહીં, સત્ય તો દરેક જગ્યાએ વ્યાપેલુ છે.તેમાં પણ તે તો સત્યને ઘોળીને પી ગયા હતાં, એટલે તે તો જવાબ આપવાની ભૂલ પણ ન કરે.તેમણે આંખો ઝુકાવી દીધી. મૈથિલિ શરણ ગુપ્તે કવિતામાં યશોધરાની વેદનાને વાચા આપી છે. તો તમે પણ વાંચો આ પંક્તિઓ

सखि, वे मुझसे कहकर जाते,
कह, तो क्या मुझको वे अपनी पथ-बाधा ही पाते?

मुझको बहुत उन्होंने माना
फिर भी क्या पूरा पहचाना?
मैंने मुख्य उसी को जाना
जो वे मन में लाते।

सखि, वे मुझसे कहकर जाते।
स्वयं सुसज्जित करके क्षण में,
प्रियतम को, प्राणों के पण में,
हमीं भेज देती हैं रण में -
क्षात्र-धर्म के नाते।
सखि, वे मुझसे कहकर जाते।

પત્નીને પીડા આપવી કદાચ પુરૂષોનો રાષ્ટ્રીય શોખ હશે.આ તો સૈકાઓ પહેલાના ઉદાહરણો છે,બાકી યશોધરાથી જશોદા સુધી કંઈ કેટલીય સ્ત્રીઓએ પતિ પીડા ખમવી પડી છે.હાં પાછી સહનશક્તિ પણ નોબલ પ્રાઈઝ મેળવે એવી હો,આમાંની કોઈ સ્ત્રીએ ક્યારેય પતિ સામે ફરિયાદ પણ કરી નથી.

આ મનોમંથન ચાલતુ હતું ત્યાં વચ્ચે મિત્રએ ટપકી કહ્યું આ ઈતિહાસની ક્યાં ચર્ચા કરવાની જરૂર છે.આપણી સામે મોદી અને જશોદા બહેનનું ઉદાહરણ હાજર જ છે.જોને 42 વર્ષે પત્ની તરીકેની માન્યતા મળી તે પણ ચૂંટણી પંચના પરિણામે.જો આ નિયમ ન થયો હોત કદાચ જીવનભર પત્નીની માન્યતા ન મળત.આ ચાર દાયકા દરમિયાન જશોદા બહેને કેવી કેવી સ્થિતિમાંથી પસાર થવુ પડ્યું હશે તે તો કલ્પના જ કરવી રહી.સ્ત્રીની એકલતાની પીડા શું હોય તે કદાચ મોદી અનુભવી પણ નહીં શકે.મોદીએ પણ કોઈ જલસા કરવા કે એશ આરામની જિંદગી માટે ઘર છોડ્યું ન હતું, તેઓ રાષ્ટ્ર માટે ભેખ લઈ નીકળી પડ્યા હતાં.રાષ્ટ્રધર્મ નિભાવવામાં કદાચ પતિ ધર્મ ભુલી ગયા હશે.તેમછતાં મુખ્યમંત્રીએ વર્ષો બાદ પત્નીનો સ્વીકાર કર્યો તે પણ જશોદા બહેન માટે પીડારૂપ જ રહ્યો હશે, કમ સે કમ તેને વર્ષો પહેલા પત્ની માની લીધા હોત તો જશોદા બહેનનું દર્દ હળવુ થઈ જાત.આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓ બીજીવાર જશોદા બહેનનો પત્ની તરીકે સ્વીકાર કરશે.